આખા નાટકની કથા વણાયેલી છે ત્રણ પાત્રો તાનિયા દિવાન, આદિત્ય દિવાન અને ઇશાન. તાનિયા દિવાન એક સુંદર પરણેલી સ્ત્રી છે જેનો પતિ આદિત્ય દિવાન જે સાપ વિશે research કરનારો (herpetologist) છે અને તાનિયાએ કરેલા અકસ્માતની આફ્રિકામાં સજા કાપી રહ્યો છે. આ બાજુ તાનિયા વ્યવસાયે વકિલ એવા ઇશાન સાથે live in relationshipમાં રહે છે. તેમાં ફોન આવે છે કે આદિત્યને વહેલો છોડી દેતા તે ઘરે આવવાનો છે, અહિંયા તાનિયા ગભરાઈ જાય છે અને તેના અને ઇશાન વચ્ચેના પુરાવાઓનો નિકાલ કરવા લાગે છે. આદિત્યનાં ઘરે આવતા શરુ થાય છે ત્રણેય વચ્ચે શંકા કુશંકા અને મોતનો ખેલ જે પૂરા નાટક દરમિયાન ચાલ્યા કરે છે.
નાટકને શરૂઆતથી અંત સુધી એકદમ ભારેખમ કરવાનો જ પ્રયત્ન કરેલ છે. તેના પાત્રો સાથે પણ આપણી આત્મિયતા કેળવાતી નથી કારણકે પાત્રોનું કોઇ background જ જણાવ્યું નથી. જાણી જોઈને આદિત્ય દિવાનનું શંકાસ્પદ વર્તન, સાપનું ઘરમાં લાવવું વગેરેથી મારીમચડીને નાટકને તેની tagline પ્રમાણે 'thrill' આપવા પ્રયત્ન કરેલ છે જે અત્યંત કંટાળાજનક છે. કથા પણ આગળ વધતી હોય એમ જણાતું નથી, નથી અંત પણ કંઈ રોમાંચક.
રંગભૂમિની દુનિયાનું જાણીતું નામ એટલે હોમિ વાડિયા. મહાપુરુષ, રેશમડંખ, ઓળખાણ જેવા નાટકોમાં તેમનો દિગ્દર્શનનો કસબ વખણાયેલો છે પરંતુ અહિંયા તેમનું દિગ્દર્શન ઠીકઠીક છે. અદાકારીમાં આદિત્યનાં પાત્રમાં ધર્મેશ વ્યાસ જેવા જણીતા કલાકારને લીધા છે જોકે તેમણે અગાઉના નાટક કિસ્મત કનેક્શન, મને પ્રેમ છે તને કેમ છે વગેરે પણ ઠીકઠીક કહી શકાય તેવાજ આપેલ છે અને અહિંયા તેણે પાત્રની નબળાઇ છતાં તેનો કિરદાર સારી રીતે નિભાવેલ છે જો કે પાત્રમાં જ વિવિધતા ન હોવાને કારણે અભિનય એક સરખોજ લાગે છે.
તાનિયા દિવાનના પાત્રમાં લીના શાહનો અભિનય સુંદર છે, ઇશાનનાં પાત્રમાં પાર્થ દેસાઇનો અભિનય પણ પાત્રને અનુરૂપ છે.
દિપક ગોહિલ, પાર્થ દેસાઈ નિર્મિત અને ચિત્રક શાહ, કિરણ માલવણકર પ્રસ્તુત "ડંખ" એક સામાન્ય thriller બની શક્યું છે.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.