"ઠાકોરજી" વેષ્ણવોના મુખમાંથી વારંવાર નીકળતું નામ. એટલે કે ઈશ્વર, ભગવાન.ઈશ્વરની વાત આવે એટલે આસ્થા આવે, માણસ ઈશ્વર પર આસ્થા રાખે એટલે એના બધાં કામ ઈશ્વર પુરા કરે? ભકત કંઈ પણ કર્મ કર્યા વિના ઠાકોરજી પર ભરોસો રાખીને બેસી રહે તે ચાલે?
વલ્લભ અંબાણીને ઠાકોરજી પર અપાર શ્રધ્ધા છે, કંઇ પણ કામકાજ કર્યા વિના ઠાકોરજીની ભક્તિમાં લીન રહે છે. તેની પત્ની ગીતા નાસ્તિક નથી પરંતુ પતિની ઠાકોરજીના ભરોસે બેસી રહેવાની વાત પસંદ નથી.પતિ કોઈ પણ નોકરીમા પોતાના સિદ્ધાંતનું કારણ આગળ ધરી ટકતો નથી, દૂધવાળાથી લઇને સોસાયટીના મેઈન્ટેનન્સ સુધીના બિલોની ચૂકવણી બાકી છે ત્યારે પણ વલ્લભ ઠાકોરજી આવીને મદદ કરશે એમજ બોલ્યા કરે છે, સોસાયટી વાળા પાણી , લાઇટ પણ કાપી નાખે છે ત્યારે પણ વલ્લભ ઠાકોરજી આવશે જ અને આ તકલીફમાંથી બહાર કાઢશે જ એ જ ભરોસો રાખે છે.
અને હા, ઠાકોરજી આવે પણ છે પણ આ ઠાકોરજી વલ્લભના ભગવાન ઠાકોરજી નહીં પણ પોરબંદરનો ડોન ઠાકોર છે જે વલ્લભ જયાં રહે છે તે ભાયંદરની ચાલી ખાલી કરાવવા તેમજ પોલિસથી સંતાવા વલ્લભની બાજુની રૂમમાં રહેવા આવ્યો છે, વલ્લભને ત્યાંથી વારંવાર ઠાકોરજી શબ્દ સાંભળી ગભરાઈને તે ચૂપચાપ વલ્લભનું મેઈન્ટેનન્સ ભરી દે છે, વલ્લભને થાય છે કે તેના ઠાકોરજીએ ચમત્કાર કર્યો અને ડોન ઠાકોરને જ તે ભગવાન માની લે છે. ડોન ઠાકોર વલ્લભને સમજાવે છે કે હું તારો ઠાકોરજી નથી પણ વલ્લભની શ્રધ્ધા માનવા તૈયાર નથી અને અંતે......
તેજરાજ પ્રોડ્ક્શન નિર્મિત,રશ્મિન શાહ લિખિત અને મેહુલ બૂચ દિગ્દર્શિત 'ઠાકોરજી'માં શ્રધ્ધા અને અધર્મ વચ્ચેનો જંગ છે. વલ્લભનાં પાત્રમાં પરેશ ભટ્ટ નો અભિનય ઊત્તમ છે, પત્ની ગીતાના પાત્રમાં નાદિયા હિમાની પણ સારો સાથ પૂરાવે છે એક જગ્યાએ સડસડાટ અંગ્રેજીમાં બોલતી વખતની ડાયલોગ ડીલીવરી પણ રોચક છે, ઠાકોરજીનાં પાત્રમાં હિતેશ ઉપાધ્યાયનો અભિનય પણ લાજવાબ છે. બાકી વિઠ્ઠલના પાત્રમાં હેનિસ ખરવરનો અભિનય પણ સરસ છે. મેહુલ બૂચનું દિગ્દર્શન સબળ છે પરંતુ ડોન ઠાકોર કહે છે કે હું ઈશ્વર નથી અને ગંમે તેટલી સાબિતિ આપવા છતાં વલ્લભ માનતો નથી ત્યાં કથા બહુ લંબાતી હોય એમ લાગે છે.
બાકી ઈશ્વર પર શ્રધ્ધા હોય તો ઠાકોરજી ગમે તે રીતે મદદ કરે જ છે એ નાટકનો મુખ્ય હાર્દ છે, પરંતુ કઇ પણ પરિશ્રમ વગર ફક્ત ઠાકોરજીના ભરોસે બેસી રહેવું કેટલું યોગ્ય છે તે આપણે વિચારવાનું છે.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.