પરિશ્રમથી કમાયેલા ધનની કદર પરિશ્રમ કરનાર જ જાણે છે. પણ જ્યારે પોતાના પરિવારના સભ્યો પોતાની મહેનતના પૈસા બેફામ રીતે ખર્ચે અને બેજવાબદાર તેમજ ઉડાવ થઈ જાય ત્યારે તેના પર લગામ તાણવી પણ જરૂરી હોય છે અને પોતાની અનઉપસ્તિથિમાં ખરો વારસદાર કોણ બની શકે તે પણ ચિંતા હોય છે. આજ વિષય પર પણ એકદમ હળવી તેમજ રમૂજી શૈલીમાં નિર્માતા રાજેન્દ્ર બુટાલા તેમજ દિગ્દર્શક પાર્થ શુક્લએ તેમનું નવીન નાટક 'ચકરડી ભમરડી' બનાવવાનો પ્રયાસ કરેલ છે જેમાંથી ઘણી વાર હાસ્ય પ્રગટે છે જયારે ઘણી વાર પ્રસંગો હાસ્યાસ્પદ લાગે છે.
જોકે નાટકની પૂરી ટીમનો મૂળ મંત્ર રહ્યો છે કે 'ટેંશન નહીં લેનેકા' એટલે લાંબુ વિચાર્યા વિના અઢી કલાક કાઢી નાખવાના, અને હસવુ આવે ત્યાં હસી લેવાનું એટલે દુખી ન થવાય.
ચાલો નાટકનું કથાનક તો જોઈએ. અમીર બિઝનેસમેન ધનસુખલાલ મહેતાનાં પુત્રનું અવસાન થયેલ છે અને તેની પુત્રવધુ તેમજ પૌત્ર આડેધડ પૈસા વાપરે છે. પૌત્ર દ્વારા શેરબજારમાં નુક્શાન, પુત્રવધુ દ્વારા ફિઝૂલખર્ચી ને અટકાવવા તેમજ પોતાનો વારસદાર નક્કી કરવા માટે દાદાજી એક શરત મૂકે છે કે નાનપણમાં ખોવાયેલી પરિવારની સદસ્ય સિમરનને દાદાજી સમક્ષ હાજર કરે અને આ આખી રમતમાં તેમનાં ખાસ વિશ્ર્વાસુ સોલિસિટર પોપટલાલ તેને મદદ કરે છે અને આ દાદાજી દ્વારા મૂકાયેલ શરતનું પાલન કરવા તેમજ પોતાને વારસદાર સાબિત કરવા ખેલાતી રમત એટલે 'ચકરડી ભમરડી'.
નિર્માતા રાજેન્દ્ર બુટાલા, નિર્માણ તેમજ અભિનયની બેવડી જવાબદારી નિભાવે છે અને પોતાની વધતી વયની પરવા કર્યા વગર પ્રેક્ષકોને હાસ્ય પીરસવામાં સફળ રહ્યા છે. દિગ્દર્શક પાર્થ શુક્લનું દિગ્દર્શન સારૂં છે પરંતુ તેમનાં તેમજ નયન શુક્લ દ્વારા લિખિત કથામાં ઘણા ચીલાચાલુ પ્રસંગો નિવારી શક્યા હોત. જેમકે દામિનિને સંસાર છોડી સાધ્વી બનવા કહેવું, હાસ્ય ઉપજાવવા પોપટલાલ સાથે જોડી જમાવવી વગેરે કંટાળાજનક લાગે છે. દામિનિના પાત્રમાં સચી જોષીનો અભિનય સારો છે, તેના પુત્ર તેમજ પુત્રવધુ નાં પાત્રમાં નયન શુક્લ અને પલ્લવી પાઠક હસાવી જાય છે. દાદાના પાત્રમાં રવિ રાઠોડને બહુ ફૂટેજ મળ્યુ નથી. મંચસજ્જા ઠીકઠીક છે. ટાઇમપાસ માટે નિર્માતા રાજેન્દ્ર બુટાલાની આ ચકરડી ભમરડીની રમતમાં શામિલ થવામાં કોઈ જ વાંધો નથી.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.